વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી ગણેશોત્સવને લઈને શહેરભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે જ અનુક્રમે કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને ભક્તિભાવ સાથે પાટ પૂજન યોજી આગામી ગણેશોત્સવની તૈયારીઓનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટ પૂજન પ્રસંગે મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગણેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શ્રી ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને બાપ્પાના આશીર્વાદ સાથે ગણેશોત્સવની તૈયારીઓને શુભ શરૂઆત આપવામાં આવી હતી.
મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા ભવ્ય અને આકર્ષક રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. મંડળના સ્થાપક વડીલોના માર્ગદર્શન અને યુવા કાર્યકર્તાઓના ઉત્સાહથી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને વધુ ભવ્ય બનાવવા માટે આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
પાટ પૂજન દરમિયાન “ગણપતિ બાપ્પા મોરિયા…”ના ગગનભેદી જયઘોષથી સમગ્ર કાલુપુરા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઊઠ્યું હતું.
મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બાપ્પાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોના ઉત્સાહ અને જયકારાઓ વચ્ચે સમગ્ર વિસ્તાર ગણેશમય બની ગયો હતો.
આ પાટ પૂજન સાથે કાલુપુરા સાર્વજનિક શ્રી ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આગામી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓનો સત્તાવાર પ્રારંભ થયો છે.













