વડોદરા: વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વાસદ મહિસાગર નદીના બ્રિજ પરથી ગુમ થયેલા આણંદ જિલ્લાના 22 વર્ષીય યુવકનો મૃતદેહ ઘટનાના બે દિવસ બાદ સિંધરોટ નજીક મહિસાગર નદીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આર્શન નરેશભાઈ પટેલ (ઉંમર 22 વર્ષ), રહે. જલારામ પાર્ક વિભાગ-1, સોજીત્રા રોડ, કરમસદ (જિલ્લો આણંદ), ગત 31 જુલાઈના રોજ સાંજના સમયે વાસદ મહિસાગર નદીના બ્રિજ નીચે પોતાની બાઇક અને મોબાઇલ ફોન મૂકીને અજાણ્યા કારણોસર નદીમાં કૂદી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન 2 ઓગસ્ટના રોજ સવારે આશરે 11 વાગ્યાના સમયે વડોદરા તાલુકાના ચોકારીપુરા-સિંધરોટ વિસ્તાર પાસે મહિસાગર નદીમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. ઘટનાની જાણ મળતાં તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ અને ઓળખ પ્રક્રિયા બાદ મૃતદેહની ઓળખ આર્શન નરેશભાઈ પટેલ તરીકે થઈ હતી. મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
આ સમગ્ર ઘટનાની જાણ યોગીકુમાર દિલીપરાય પટેલ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. હાલમાં આ કેસની વધુ તપાસ અ.હે.કો. વિજયસિંહ માનસિંહ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ હાલમાં યુવકે નદીમાં કૂદવાનું ચોક્કસ કારણ શું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. પરિવારજનો, નજીકના લોકો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે તેવી શક્યતા છે.













