જૂની કચેરીના દરવાજાનું પ્લાય તોડી તસ્કરો ઘૂસ્યા, રૂ.16 હજારનો સરકારી સામાન ચોરી કરી ફરાર
વડોદરા તા.30
વડોદરાના જેલ રોડ સ્થિત નર્મદા ભવનમાં આવેલી અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીને તસ્કરોએ નિશાન બનાવી સરકારી મિલકતની ચોરી કરી છે. કચેરીના મુખ્ય દરવાજાનું પ્લાય તોડી અંદર પ્રવેશેલા અજાણ્યા ચોરોએ 10 સિલિંગ ફેન અને 12 એલઈડી લાઇટ મળી રૂ.16 હજારનો સામાન ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અધિક નોંધણી સર નિરીક્ષકની કચેરીમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુર્યકાંત શાંતીલાલ હઠીલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, જુલાઈ-2025થી કચેરીનું સ્થળાંતર દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હોવાથી જેલ રોડ પર આવેલા નર્મદા ભવનની જૂની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.
તા. 28 જુલાઈ 2026ની રાત્રે ઉચ્ચ અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે નર્મદા ભવન ખાતે રૂટીન ચેકિંગ દરમિયાન કચેરીમાંથી સિલિંગ ફેન અને એલઈડી લાઇટની ચોરી થયેલી હોવાનું જાણવા મળ્યું છે. બીજા દિવસે સવારે અધિકારીઓ સ્થળ પર પહોંચતા રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાના નીચેના ભાગનું પ્લાય તૂટેલું જોવા મળ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લે 18 જુલાઈએ કચેરીની તપાસ કરવામાં આવી ત્યારે તમામ સામાન સુરક્ષિત હતો. જોકે ત્યારબાદ કોઈ અજાણ્યો તસ્કર દરવાજાનું પ્લાય તોડી અંદર પ્રવેશ્યો અને ક્રોમ્પટન કંપનીના 10 સિલિંગ ફેન તેમજ એન્કર કંપનીની 12 એલઈડી લાઇટ મળી રૂ.16 હજારનો સરકારી સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સુર્યકાંત હઠીલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.













