Site icon aadianantnews.com

સુભાનપુરામાં રહેતા ઉદ્યોગપતિને ગોલ્ડ લોન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 3.35 કરોડની ઠગાઈ

ઉચ્ચ અધિકારીઓએ આવી કોઈ સ્કીમ બેંક ચલાવતી ન હોવાનું જણાવતા ઉદ્યોગપતિ ચોંકી ઉઠ્યા

રૂ.1.10 કરોડ પરત આપીને વિશ્વાસ જીત્યો, બાકીના રૂ.2.25 કરોડ નહીં મળતાં પાંચ સામે ફરિયાદ

વડોદરા તા.30
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અને ઓટો ડ્રાઈવ એલએલપીના ભાગીદારને ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન અને કેશ મેનેજમેન્ટ સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ. 3.35 કરોડનું રોકાણ કરાવી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે રૂ. 1.10 કરોડ પરત આપવામાં આવ્યા હતા, પરંતુ બાકીના રૂ.2.25 કરોડ તેમજ વચન મુજબનું વળતર નહી ચૂકવી તેમની સાથે ઠગાઈ કરવામા આવતા તેમણે પાંચ લોકો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.

સુભાનપુરા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ અને ઓટો ડ્રાઈવ એલએલપીના ભાગીદાર કુરેન મનીષકુમાર અમીને નોધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ-2022 દરમિયાન તેમના પરિચિત અભિનવ રાવતે ફીનો પેમેન્ટ બેંકની ગોલ્ડ લોન સ્કીમમાં રોકાણ કરવાથી દર મહિને સારું વળતર મળતું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કલ્પિત સોની, સુરેન્દ્ર શર્મા અને બિલાલ સૈયદ નામના વ્યક્તિઓએ પોતાને ફીનો પેમેન્ટ બેંકના જવાબદાર કર્મચારીઓ તરીકે ઓળખાવી કંપનીની ઓફિસમાં તેમજ બેંક ખાતે બેઠક યોજી ગોલ્ડ લોન અને કેશ મેનેજમેન્ટ સ્કીમની વિગતવાર માહિતી આપી હતી.

આરોપીઓએ બેંકના પેમ્ફલેટ, દસ્તાવેજો અને લેટરહેડ બતાવી રોકાણ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું કહી તનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં KYC પ્રક્રિયા કરાવી ડિસ્ટ્રીબ્યુટર કોડ ખોલાવવાની વાત કરી અલગ-અલગ તારીખોએ કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકીના ખાતામાં રૂ. 3.35 કરોડ જમા કરાવ્યા હતા.

રોકાણ બાદ આરોપીઓએ વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 1.10 કરોડ પરત પણ આપ્યા હતા. જોકે ત્યારબાદ બાકીની રકમ તથા નફો આપવાનું બંધ કરી દીધું હતું. વારંવાર ઉઘરાણી છતાં સંતોષકારક જવાબ ન મળતા તેઓએ બેંકના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી આવી કોઈ સ્કીમ બેંક ચલાવતી ન હોવાનું જણાવાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિત સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. તપાસ દરમિયાન ICICI બેંકમાં ખોલાયેલા એકાઉન્ટ અને ફીનો પેમેન્ટ બેંકના લેટરહેડ સહિતના દસ્તાવેજો પણ મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉદ્યોગપતિની ફરિયાદના આધારે કલ્પિત અશોકભાઈ સોની, સુરેન્દ્રકુમાર કિશોરવાલ શર્મા, બિલાલ શાહીદ અહેમદ સૈયદ, કુંજલસિંહ વિક્રમસિંહ સોલંકી સહિત અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ અને ગુનાહિત કાવતરા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version