Site icon aadianantnews.com

આણંદ રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન યોજાયું

આણંદ, તા. 6 ઓગસ્ટ: આણંદ રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિક જાગૃતિ અને જાહેર સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટ્રાફિક નિયમો તેમજ સામાજિક સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 30 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસ તથા સી ટીમ દ્વારા હેલ્મેટ પહેરવાની આવશ્યકતા, ટ્રાફિક નિયમોનું પાલન, ગુડ ટચ – બેડ ટચ અંગે જાગૃતિ અને નાર્કોટિક્સ (ડ્રગ્સ)ના દૂષણથી બચવા માટેની માહિતી આપવામાં આવી હતી.

અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદાનું પાલન કરવાની, સુરક્ષિત વાહનવ્યવહાર અપનાવવાની અને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો અને માર્ગદર્શનને ઉપયોગી ગણાવ્યું.

આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં ટ્રાફિક શિસ્ત, વ્યક્તિગત સુરક્ષા અને નશામુક્ત સમાજ અંગે સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

📍 સ્થળ: આણંદ રેલવે સ્ટેશન, આણંદ

પ્રેસ રિપોર્ટર: વિપુલ દરજી, આણંદ

Exit mobile version